કેનેડાની અવળચંડાઈ:એડવાઈઝરી જાહેર કરીને ભારતમાં આ સ્થલે જવા ટાળવાનું કહ્યુ

By: nationgujarat
20 Sep, 2023

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે. કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ મૂક્યો અને ભારતના એક રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો. જવાબમાં ભારતે પણ કેનેડાના રાજદ્વારીને હાંકી કાઢ્યો.

આ પછી મંગળવારે રાત્રે બે મોટી ઘટનાઓ બની હતી. પહેલી- ન્યૂઝ એજન્સીએ કેનેડા સરકારને ટાંકીને કહ્યું કે- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેનેડાએ તેમના નાગરિકોને ત્યાં ન જવા માટે કહ્યું છે. આતંકવાદ અને અપહરણનું જોખમ છે. આ સિવાય આસામ અને મણિપુર ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. આ અગાઉ જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં અપડેટ હતું.

બીજું- કેનેડાના સૌથી મોટા અખબાર ‘ટોરોન્ટો સ્ટાર’એ ટ્રુડોનું નિવેદન જાહેર કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે કેનેડાની સરકાર ભારત સાથે તણાવ વધારવા માંગતી નથી, પરંતુ ભારતે આ મુદ્દાઓને ગંભીરતાથી લેવા પડશે.

વિપક્ષી નેતાની ટ્રુડોને સલાહ
કેનેડિયન વિપક્ષો ભારત સંઘર્ષના મુદ્દા પર વડાપ્રધાન ટ્રુડોથી પોતાને દૂર કરી રહ્યા હોય તેવું લાગે છે. વિપક્ષના નેતા પિયર પોઈલીવરે સોશિયલ મીડિયા પર કહ્યું- આપણા વડાપ્રધાને સ્પષ્ટ અને સીધું બોલવું જોઈએ. જો તેમની પાસે પુરાવા હોય તો તેમણે લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ. આવું થશે ત્યારે જ લોકો નક્કી કરી શકશે કે કોણ સાચું અને કોણ ખોટું. આશ્ચર્યની વાત એ છે કે ટ્રુડો કોઈ તથ્ય રજૂ કરી રહ્યા નથી. તેમના તરફથી માત્ર નિવેદનો આવી રહ્યા છે, આવું તો કોઈપણ કરી શકે છે.

ટ્રુડોનું નવું નિવેદન – તણાવ વધારવો નથી
ટોરોન્ટો સ્ટારના અહેવાલ મુજબ મંગળવારે રાત્રે કેનેડાના વડાપ્રધાનનું વલણ થોડું નરમ દેખાયું. તેમણે કહ્યું- અમે તણાવ વધારવા માંગતા નથી. અમે કેટલાંક તથ્યો રજૂ કર્યા છે. અમે આ મુદ્દે ભારત સરકાર સાથે મળીને કામ કરવા માંગીએ છીએ જેથી બધુ સ્પષ્ટ થઈ શકે.

ભારતે કહ્યું- કેનેડાના આરોપો વાહિયાત છે
ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું- કેનેડાના તમામ આરોપો વાહિયાત છે. કેનેડાના વડા પ્રધાને આપણા પીએમ મોદી પર પણ આવા જ આક્ષેપો કર્યા હતા અને તેમને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા.

આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો આ પ્રયાસ છે. તેમને કેનેડામાં આશરો આપવામાં આવ્યો છે અને તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે જોખમી છે.

ટ્રુડોએ કહ્યું- તપાસમાં સહયોગ માટે ભારત પર દબાણ બનાવશે
ટ્રુડોએ સાંસદોને કહ્યું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેઓ આ હત્યાની તપાસમાં સહયોગ આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવશે.

તેમણે કહ્યું હતું કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસતિ આ હત્યાથી નારાજ છે. ઘણા શીખો તેમની સુરક્ષા માટે ડરમાં છે. દેશમાં ભારતીય મૂળના 14થી 18 લાખ નાગરિક છે, જેમાંથી ઘણા શીખ છે. કેનેડાની વિપક્ષી પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમિત સિંહ શીખ સમુદાયમાંથી છે.


Related Posts

Load more